જયારે પ્રણય ની જગમાં ..

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ,

કોણે કહ્યું કે લયને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

આદીલ મન્સૂરી
(શબ્દો – લયસ્તરો)

 


Leave a comment